Class 8 Social Science Chapter 8 Swadhyay (ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 8 સ્વાધ્યાય)

Class 8 Social Science Chapter 8 Swadhyay
Class 8 Social Science Chapter 8 Swadhyay

Class 8 Social Science Chapter 8 Swadhyay

Class 8 Social Science Chapter 8 Swadhyay, Std 8 Social Science Chapter 8 Swadhyay, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયના એકમ 8 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 8 સ્વાધ્યાય

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 8સ્વતંત્રતા પછીનું ભારત
સત્ર :દ્વિતીય
Class 8 Social Science Chapter 8 Swadhyay

સ્વાધ્યાય

પ્રશ્ન 1. ખાલી જગ્યા પૂરો :

(1) હિંદના વિભાજન માટે બ્રિટિશ પાર્લામેન્ટ………..ધારો પસાર કર્યો હતો.

જવાબ : હિંદ સ્વાતંત્ર્ય

(2) ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી………….હતા.

જવાબ : ડૉ. જીવરાજ મહેતા

(3) હાલ આયોજનપંચ……………તરીકે ઓળખાય છે.

જવાબ : નીતિઆયોગ

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યમાં લખો :

(1) ભારત ક્યારે સ્વતંત્ર થયું?

ઉત્તર : ભારતદેશ 15 ઑગસ્ટ, 1947ના રોજ સ્વતંત્ર થયો.

(2) રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા?

ઉત્તર : રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ડૉ. ફઝલઅલી હતા.

(3) ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી?

ઉત્તર : ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે, 1960ના રોજ કરવામાં આવી.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો :

(1) સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા?

ઉત્તર : સ્વતંત્ર ભારતની સામે નીચે મુજબના પડકારો હતા :

(1) અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતાં ભારત અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યાં. પાકિસ્તાને પોતાના દેશમાંથી બિનમુસ્લિમોને હાંકી કાઢવાની નીતિ અપનાવતાં લગભગ 80 લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. એ શરણાર્થીઓને ભારતમાં સમાવવા અને તેમને રોજગારી આપવી. (2) આઝાદી મળી તે સમયે ભારતમાં નાનાં-મોટાં 562 જેટલાં દેશી રાજ્યો હતાં. એ રાજ્યોનું એકીકરણ કરી તેમને ભારતસંઘ સાથે જોડવા માટે તેમને સહમત કરવાં. (૩) દેશની પ્રજાની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ સંતોષી શકે તેવું રાજ્ય બંધારણ ઘડવું અને રાજકીય વ્યવસ્થા બનાવવી. (4) ઈ. સ. 1947માં ભારતની વસ્તી લગભગ 35 કરોડ જેટલી હતી. એ વસ્તી ભાષા, પહેરવેશ, ધર્મ, પ્રદેશ અને સાંસ્કૃતિક બાબતોમાં ભિન્નતાઓ ધરાવતી હતી. અનેક વિવિધતા ધરાવતી એ પ્રજામાં રાષ્ટ્રીય એકતાની ભાવના જગાડી રાષ્ટ્રીય વિકાસ કરવો. (5) આઝાદીના સમયે દેશની વસ્તીનો મોટો સમુદાય ગામડાંમાં રહેતો હતો અને ખેતી કરતો હતો. એ ગ્રામીણ વિસ્તારોમાં ખેતીની અને ખેતી સાથે જોડાયેલી રોજગારીની વિકટ સમસ્યાઓ હતી. (6) દેશના શહેરી વિસ્તારોમાં ગંદકી, ગીચ વસવાટો, ગરીબી, શિક્ષણ અને આરોગ્યલક્ષી સવલતોનો અભાવ વગેરે સમસ્યાઓ હતી.

(2) જૂનાગઢનું ભારતસંઘ સાથે જોડાણ ક્યારે કરવામાં આવ્યું?

ઉત્તર : જૂનાગઢના નવાબે પોતાના રાજ્યનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું. પાકિસ્તાને તેને મંજૂર કર્યું. તેના વિરોધમાં મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે ‘આરઝી હકૂમત’ની સ્થાપના કરી. સૌરાષ્ટ્રનાં લગભગ બધાં રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો ભારે વિરોધ કર્યો. જૂનાગઢના નવાબે રાજ્યની પ્રજાને ત્રાસ આપવા માંડ્યો. સરદાર પટેલે જૂનાગઢના નવાબ સામે પગલાં લેવાનું નક્કી કર્યું. ભારતના સૈન્ય જૂનાગઢને ચોતરફથી ઘેરી લીધું. આખરે નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો. ભારત સરકારે જૂનાગઢનો કબજો લીધો. એ પછી લોકમત લેવાતાં લોકોએ પ્રચંડ બહુમતીથી જૂનાગઢને સંપૂર્ણપણે ભારતસંઘ સાથેના જોડાણને સમર્થન આપ્યું. આમ, સરદાર પટેલની કુનેહ અને જૂનાગઢના નાગરિકોની પ્રબળ ઇચ્છાશક્તિ વડે જૂનાગઢનું ભારતસંઘ સાથે જોડાણ-વિલીનીકરણ કરવામાં આવ્યું.

(3) અવકાશ વિજ્ઞાનક્ષેત્રે ભારતે સાધેલ પ્રગતિની નોંધ લખો.

ઉત્તર : ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ મેળવી છે. ભારતે ‘આર્યભટ્ટ’, ભાસ્કર, રોહિણી, SROSS-C2, GSLV- FO2, સંચાર ઉપગ્રહ જીસેટ- 12 જેવા ઉપગ્રહો સફળતાપૂર્વક અવકાશમાં છોડ્યા છે. ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના GSLV (ઝીયોસિન્ક્રોનાસ સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ) તૈયાર કર્યા છે. 5 નવેમ્બર, 2013ના રોજ ભારતના વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક મંગળયાન છોડ્યું હતું. આમ, ભારતે છોડેલા ઉપગ્રહો, મંગળ ગ્રહ પર પહોંચવા માટેનું મંગળ અભિયાન તેમજ ઉપગ્રહો છોડવામાં સાધેલ સંપૂર્ણ સ્વાવલંબન વગેરે ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિઓ રહી છે.

પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :

(1) દેશી રાજ્યોના એકીકરણ અને વિલીનીકરણ વિશે માહિતી આપો.

ઉત્તર : સ્વરાજ્ય મળ્યું ત્યારે ભારતમાં નાનાં-મોટાં મળીને 562 જેટલાં દેશી રાજ્યો હતાં. કશ્મીર, હૈદરાબાદ અને મૈસુર મોટા રાજ્યો હતાં. બધાં દેશી રાજ્યોના રાજાઓ અને નવાબોને ભારતસંઘમાં જોડાવા માટે સમજાવવા એ ખૂબ મોટું અને ભગીરથ કાર્ય હતું. આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે ભાવનગરમાં ‘જવાબદાર સરકાર’નો શુભ આરંભ કર્યો. સરદાર પટેલના પ્રયત્નોથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ભાવનગર રાજ્ય 15 ફેબ્રુઆરી 1948માં તેમાં વિલીન થઈ ગયું. સૌરાષ્ટ્ર રાજ્યની રચનાની એ ઘટનાને જવાહરલાલ નેહરુએ ‘સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ’ ગણાવ્યું.

સ્વાતંત્ર્યતા મેળવ્યા પછી તત્કાલીન નાયબ વડા પ્રધાન અને ગૃહપ્રધાન વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોના રાજાઓને અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતસંઘના હિતમાં તેઓ પોતાનાં રાજ્યોનો સ્વેચ્છાએ ત્યાગ કરે અને એક મજબૂત, અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં પોતાની સંમતિ આપે. સરદાર પટેલે તેમના સચિવ વી. પી. મેનનની મદદથી દેશી રાજ્યો માટે એક ‘જોડાણખત’ અને ‘જૈસે થે કરાર’નો મુસદ્દો તૈયાર કર્યો. સરદાર પટેલે વ્યવહારુ બુદ્ધિથી લગભગ બધાં દેશી રાજ્યોની ભારતસંઘમાં વિલીનીકરણની પ્રક્રિયા શરૂ કરી. તેમણે ભારત સરકાર વતી રાજાઓને તેમનાં સાલિયાણાં, દરજ્જો, હકો અને હિતોના રક્ષણની ખાતરી આપી. કશ્મીર, જૂનાગઢ અને હૈદરાબાદના શાસકો સિવાયના બધા રાજાઓએ જોડાણખત પર હસ્તાક્ષર કરી પોતાનાં રાજ્યો અને રિયાસતોને ભારતસંઘ સાથે જોડી દીધાં.

હૈદરાબાદના નિઝામ સામે ‘પોલીસ પગલું’ ભરી તેના હિતોના રક્ષણની બાંહેધરી આપી, હૈદરાબાદને ભારતસંઘ સાથે જોડી દેવામાં આવ્યું. હૈદરાબાદના વિલીનીકરણમાં શ્રી કનૈયાલાલ મુનશીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

જૂનાગઢના નવાબ સામે લશ્કરી કાર્યવાહી તેમજ પ્રજાની પ્રબળ ઇચ્છાશક્તિ વડે જૂનાગઢને ભારતસંઘ સાથે જોડી દેવામાં આવ્યું. ભારતને સ્વરાજ્ય મળ્યું તે સમયે કશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરાએ ભારત સાથેના જોડાણખત પર સહી કરી ન હતી. એ દરમિયાન પાકિસ્તાને કશ્મીરને પોતાની સાથે જોડવા માટે કશ્મીર પર આક્રમણ કર્યું. રાજા હરિસિંહે તાબડતોબ જોડાણખત પર સહી કરી. એ પછી ભારત સરકારે કશ્મીરમાં તાત્કાલિક ધોરણે લશ્કર મોકલીને આક્રમણખોરોને નસાડી મૂક્યા. પરંતુ એ દરમિયાન પાકિસ્તાને કશ્મીરના ત્રીજા ભાગ પર ગેરકાયદેસર લશ્કરી કબજો જમાવ્યો હતો.

(2) પંચવર્ષીય યોજનાઓથી થયેલ આર્થિક વિકાસ વિશે માહિતી આપો.

ઉત્તર : ઈ. સ. 1950માં ભારત સરકારે બંધારણનાં ધ્યેયો અને આદર્શોને ચરિતાર્થ કરવા આયોજનપંચની રચના કરી. એ આયોજનપંચ આજે ‘નીતિઆયોગ’ તરીકે ઓળખાય છે. નીતિઆયોગ ભારતનું લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાનું આર્થિક આયોજન કરે છે.

(1) ભારતના આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશ્યોમાં દેશનો ઝડપી આર્થિક વિકાસ અને વૃદ્ધિ, આર્થિક અસમાનતામાં ઘટાડો, ગરીબી ઘટાડવી, પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી, સ્વાવલંબન, ભાવસ્થિરતા, શૈક્ષણિક વિકાસ વગેરેને સિદ્ધ કરવા પંચવર્ષીય યોજનાઓ શરૂ કરવામાં આવી છે.

(2) ઈ. સ. 1951થી 1956નાં વર્ષો દરમિયાન પ્રથમ પંચવર્ષીય યોજના શરૂ કરવામાં આવી હતી. પંચવર્ષીય યોજનાઓના સમયગાળા દરમિયાન આયોજનબદ્ધ આર્થિક વિકાસના પ્રયત્નો થયો.

(3) ઔદ્યોગિક વિકાસના હેતુથી ભારે અને પાયાના ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા, પરિણામે ઔદ્યોગિક ઉત્પાદનમાં દેશ મહદ્અંશે સ્વાવલંબી બન્યો છે.

(4) કૃષિક્ષેત્રે કરેલા સુધારાઓને કારણે દેશ અન્ન ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યો છે. એટલું જ નહિ, આજે દેશમાંથી અનાજની નિકાસ થાય છે. આ ઘટના ‘હરિયાળી ક્રાંતિ’ કહેવાય છે.

(5) દૂધ ઉત્પાદનમાં શ્વેત ક્રાંતિ અને તેલીબિયાંનાં ઉત્પાદનમાં પીળી ક્રાંતિ દ્વારા ઉત્પાદન વધારવાની દિશામાં વિકાસકીય પગલાંઓ ભરવામાં આવેલ છે.

(6) દેશમાંથી ગરીબી અને આર્થિક અસમાનતા ઘટાડવા ગરીબીનિવારણના અનેક કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે.

(7) પંચવર્ષીય યોજનાઓના પરિણામ સ્વરૂપે આજે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થયો છે.

(8) ગરીબી ઘટાડવા, આવકની અસમાનતા ઘટાડવા, રોજગારીની તકો વધારવા, શિક્ષણનો પ્રચાર-પ્રસાર કરવા, ગરીબોને આવશ્યક ચીજવસ્તુઓ આપવા વગેરે માટે સરકાર પ્રયત્નશીલ રહી છે.

(9) પંચવર્ષીય યોજનાના આરોગ્યલક્ષી કાર્યક્રમોને લીધે દેશની પ્રજાના આરોગ્યમાં અને સરેરાશ આયુષ્યમાં સુધારો થયો છે. દેશમાંથી શીતળાનો રોગ નાબૂદ થયો છે. બાળ આરોગ્ય અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે.

(10) શિક્ષણના પ્રમાણમાં વધારો થવાથી સાક્ષરતાના દરમાં વધારો થયો છે.

(૩) આઝાદી પછીનાં વર્ષોમાં ભારતે સાધેલી પ્રગતિ વિશે ટૂંકમાં માહિતી આપો.

ઉત્તર : ભારતે લોકશાહી આદર્શોને જીવંત રાખેલ છે. તે એક ગૌરવપ્રદ ઉપલબ્ધિ છે. આઝાદીથી અત્યાર સુધી લોકસભા,રાજ્યસભા, વિધાનસભાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. દેશના નાગરિકોને પુખ્તવય મતાધિકાર આપવામાં આવ્યો છે. ભારતમાં મૂળભૂત અધિકારોનું યથાર્થ પાલન થાય છે. ભારતમાં પ્રેસ સ્વાતંત્ર્ય છે. નિષ્પક્ષ અને તટસ્થ ન્યાયતંત્ર છે. દેશમાં ભાષાકીય અને ધાર્મિક વિવિધતા તથા પ્રાદેશિક અસમાનતાઓ હોવા છતાં રાષ્ટ્રીય એકતા પ્રવર્તે છે.

વિશ્વના અન્ય વિકાસશીલ દેશોની તુલનાએ ભારતે આઝાદી પછીનાં વર્ષોમાં વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરીને વિકસિત દેશોની સાથે બરોબરી કરી છે. મર્યાદિત અને અલ્પ સાધનો, સાક્ષરતાનું ઓછું પ્રમાણ વગેરે સમસ્યાઓ હોવા છતાં ભારતે આ ક્ષેત્રે સાધેલો વિકાસ અદ્વિતીય છે. પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલૉજીનો શાંતિમય ઉપયોગ અને તેના દ્વારા વિકાસની પ્રક્રિયામાં ભારતે નોંધપાત્ર પ્રગતિ સાધી છે. ઇલેક્ટ્રૉનિક્સ, ઊર્જા, લોખંડ-પોલાદ, ટૅલિકૉમ્યુનિકેશન, રાસાયણિક ખાતરો, સિમેન્ટ, પેટ્રોકેમિકલ્સ વગેરે ક્ષેત્રોમાં ભારતે હરણફાળ ભરી છે.

ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ભારતે ‘આર્યભટ્ટ’, ‘ભાસ્કર’, ‘રોહિણી’ જેવા ઉપગ્રહો અવકાશમાં છોડ્યા તેમજ અવકાશમાં ઉપગ્રહો છોડવા માટેનાં વ્હીકલ ‘GSLV (ઝીયોસિન્ક્રોનાસ સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ) વિકસાવ્યાં છે. મંગળ ગ્રહ પર પહોંચવા માટેનું મંગળ અભિયાન અને ઉપગ્રહો છોડવામાં સાધેલું સંપૂર્ણ સ્વાવલંબન વગેરે ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિઓ રહી છે. વિશ્વના દેશોએ પણ ભારતીય સિદ્ધિઓની નોંધ લીધી છે. આમ, આઝાદી પછીનાં વર્ષોમાં ભારતે અપ્રતિમ પ્રગતિ સાધી છે.

Also Read :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 18 સ્વાધ્યાય