Class 8 Social Science Chapter 3 Swadhyay (ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 3 સ્વાધ્યાય)

Spread the love

Class 8 Social Science Chapter 3 Swadhyay
Class 8 Social Science Chapter 3 Swadhyay

Class 8 Social Science Chapter 3 Swadhyay

Class 8 Social Science Chapter 3 Swadhyay, Std 8 Social Science Chapter 3 Swadhyay, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયના એકમ 3 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 3 સ્વાધ્યાય.

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 3ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ
સત્ર :પ્રથમ
Class 8 Social Science Chapter 3 Swadhyay

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો.

(1) ઈ. સ. 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ ગણાય છે?

ઉત્તર : ઈ. સ. 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે ગણાય છે.

(2) ભારતમાં હિંદુ-મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી?

ઉત્તર : ભારતમાં હિંદુ-મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ ‘ભાગલા પાડો અને રાજ કરો’ (Divide and Rule)ની નીતિ અપનાવી હતી.

(3) ઓખામંડળ વિસ્તારમાં કોણે કોણે અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો?

ઉત્તર : ઓખામંડળ વિસ્તારમાં જોધા માણેક અને મૂળુ માણેકે અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો.

(4) ગુજરાતમાં ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામ સાથે ક્યાં કયાં સ્થળો જોડાયેલાં હતાં?

ઉત્તર : ગુજરાતમાં ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામ સાથે અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાળુ, સાબરકાંઠા વગેરે સ્થળો તેમજ મહીસાગર જિલ્લાનો પાંડરવાડા વિસ્તાર જોડાયેલો હતો.

પ્રશ્ન 2. (અ) ટૂંક નોંધ લખો.

(1) ઈ. સ. 1857ના સંગ્રામનાં આર્થિક કારણો

ઉત્તર : ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનાં આર્થિક કારણો નીચે પ્રમાણે હતાં :

(1) અંગ્રેજ સરકારે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે અપનાવેલી આર્થિક નીતિને કારણે ભારતનો વિદેશી વેપાર પડી ભાંગ્યો. અંગ્રેજ સરકારે ભારતને કાચા માલનું સંસ્થાન અને પોતાના દેશમાં બનેલા પાકા માલનું બજાર બનાવ્યું હતું. (2) પોતાના દેશને જરૂરી એવા કપાસ, ગળી, રેશમ વગેરે પાકો ભારતના ખેડૂતો ફરજિયાત ઉત્પન્ન કરે એવી નીતિ અંગ્રેજોએ અપનાવી હતી. પરિણામે ભારતમાં અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટી જાય એવી પરિસ્થિતિ સર્જાઈ. (3) અંગ્રેજ સરકારની અન્યાયી મહેસૂલ નીતિને કારણે ખેડૂતો પાયમાલ થયા. જમીનદારો જમીનવિહોણા બન્યા. (4) અંગ્રેજોની ભેદભાવભરી જકાતનીતિને કારણે ભારતના ધમધમતા ગૃહઉદ્યોગો, હસ્તઉદ્યોગો અને ગ્રામોદ્યોગો પડી ભાંગતાં લાખો કારીગરો બેકાર બન્યા. (5) અંગ્રેજોએ વેપાર-ધંધાથી ધમધમતાં ભારતનાં અનેક મોટાં શહેરોની જાહોજલાલી ઓછી કરી દીધી. (6) ઈ. સ. 1801થી ઈ. સ. 1857 સુધીમાં ભારતમાં નાના-મોટા અનેક દુકાળો પડ્યા. અંગ્રેજોએ લોકોને એમાંથી બચાવવા રાહતનાં પગલાં ન ભર્યા. અનાજની અછતને કારણે અસંખ્ય લોકો દુકાળમાં મૃત્યુ પામ્યા.

(2) ઈ. સ. 1857ના સંગ્રામની નિષ્ફળતાનાં કારણો અથવા ઈ. સ. 1857નો સ્વાતંત્ર્યસંગ્રામ ક્યાં કારણોથી નિષ્ફળ ગયો?

ઉત્તર : ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામની નિષ્ફળતાનાં કારણો નીચે પ્રમાણે હતાં.

(1) કેન્દ્રીય નેતાગીરીનો અભાવ : ઈ. સ. 1857ના સ્વાતંત્ર્ય-સંગ્રામના અનેક નેતાઓ હતા. પરંતુ તેમાં સમગ્ર સંગ્રામને દોરવણી આપી શકે એવો કોઈ સમર્થ, સર્વોચ્ચ અને સર્વમાન્ય નેતા ન હતો. રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા. સંગ્રામના મુખ્ય નેતા બહાદુરશાહ અત્યંત વૃદ્ધ હતા. સંગ્રામ જુદાં જુદાં સ્થળોએ જુદા જુદા નેતૃત્વ નીચે થયો. સંગ્રામમાં કેન્દ્રીય સંગઠન અને નેતૃત્વનો અભાવ હતો, જે સ્વાતંત્ર્ય-સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું.

(2) અંગ્રેજોની લશ્કરી તાકાત : સંગ્રામીઓની સૈન્યશક્તિ, શસ્ત્રો અને નેતાગીરી કરતાં અંગ્રેજોની સૈન્યશક્તિ, લશ્કરી શસ્ત્ર સરંજામ અને નેતાગીરી ચડિયાતાં હતાં. અંગ્રેજો પાસે આધુનિક શસ્ત્ર-સરંજામ હતો, જ્યારે સંગ્રામીઓ પાસેનાં શસ્ત્રો જૂનાં અને અપૂરતાં હતાં. અંગ્રેજો પાસે રેલવે અને તાર-વ્યવસ્થા હતી, જ્યારે સંગ્રામીઓ પાસે એ સાધનો ન હોવાથી જે-તે સ્થળે વધારાનાં નવાં શસ્ત્રો અને સૈનિકો પહોંચાડી શકાય નહિ. અંગ્રેજો પાસે દરિયાઈ તાકાત હોવાથી તેમનું નૌકાદળ બહારથી બહુ ઝડપથી પોતાના નવા સૈનિકો લાવવા સક્ષમ બન્યું. સંગ્રામીઓમાં રાણી લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપેને બાદ કરતાં કોઈ શક્તિશાળી નેતા ન હતો. શક્તિશાળી સેનાપતિઓની મદદથી અંગ્રેજોએ સંગ્રામને બહુ ઝડપથી દબાવી દીધો.

(3) અન્ય કારણો : (1 ) ભારતના મોટા ભાગના રાજાઓ સંગ્રામથી અલિપ્ત રહ્યા. હૈદરાબાદ, કશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, ભોપાલ, વડોદરા વગેરેના શાસકોએ સંગ્રામને દબાવવામાં અંગ્રેજોને સહકાર આપ્યો હતો. (2) શીખો અને ગુરખાઓ સંગ્રામમાં અંગ્રેજોના પક્ષમાં રહીને લડ્યા. તેમણે સંગ્રામને નિષ્ફળ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. (3) સંગ્રામને અંગ્રેજ સરકારના નોકરિયાતો, શિક્ષિતો, બુદ્ધિજીવીઓ વગેરેનો સહકાર અને માર્ગદર્શન મળ્યાં નહિ.  (4) સ્વાતંત્ર્યસંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો ન હતો. સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ મોટા ભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો પૂરતું મર્યાદિત હતું. તેથી અંગ્રેજો પોતાની શક્તિ કેન્દ્રિત કરીને સંગ્રામને નિષ્ફળ બનાવવામાં સફળ રહ્યા. (5) સ્વાતંત્ર્યસંગ્રામ 31 , 1857ના રોજ ભારતભરમાં એકસાથે શરૂ થવાનો હતો. પરંતુ તે માર્ચ મહિનામાં જ શરૂ થઈ ગયો. તેથી સંગ્રામનું આયોજન વેરવિખેર થઈ ગયું અને અંગ્રેજ સરકાર સાવચેત થઈ ગઈ.

પ્રશ્ન 2. (બ) નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.

(1) ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામ માટેનાં જવાબદાર કારણો વિશે નોંધ લખો.

ઉત્તર : ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામ માટેનાં જવાબદાર કારણો નીચે પ્રમાણે હતાં :

(1) રાજકીય કારણો : (1) ઈ. સ. 1757ના પ્લાસીના અને ઈ. સ. 1764ના બકસરના યુદ્ધમાં વિજય મેળવીને અંગ્રેજોએ ભારતમાં રાજકીય સત્તા સ્થાપી. એ પછી ડચ અને ફ્રેન્ચ પ્રજાને, ટીપુ સુલતાનને તેમજ અવધના નવાબ, હૈદરાબાદના નિઝામ, મુઘલ બાદશાહ, તાંજોર, મરાઠાઓ વગેરેને પરાજિત કરી ઈ. સ. 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર અંગ્રેજોએ પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી. (2 ) લૉર્ડ વેલેસ્લીએ સહાયકારી યોજના અને લૉર્ડ ડેલહાઉસીએ ખાલસાનીતિ દ્વારા ભારતનાં દેશી રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યવાદમાં ભેળવી દીધાં. (૩) લૉર્ડ ડેલહાઉસીએ નાનાસાહેબ પેશ્વા, મુઘલ બાદશાહ બહાદુરશાહ અને અન્ય રાજાઓનાં પેન્શન બંધ કર્યું. તેણે ઇનામ કમિશન દ્વારા અનેક જમીનદારોની જમીનો જપ્ત કરી. પરિણામે દેશી રાજ્યોનાં રાજાઓ, જમીનદારો અને મુસ્લિમોમાં અંગ્રેજ સરકાર સામે ભારે અસંતોષ વ્યાપ્યો. તેઓ અંગ્રેજોના દુશ્મન બન્યા. તેમણે પોતાની પ્રજાને અંગ્રેજો સામે ઉશ્કેરી.

(2) વહીવટી કારણો : (1) અંગ્રેજોએ વહીવટના બધા જ ઊંચા હોદ્દાઓ પર અંગ્રેજોની નિયુક્તિ કરી. ભારતીયોની નિમણૂક માત્ર નીચલી કક્ષાનાં સ્થાનો પર કરવામાં આવતી. ભારતીય કર્મચારીઓ અને અંગ્રેજ કર્મચારીઓ વચ્ચે પગારમાં મોટો તફાવત હતો. આથી, ભારતીયોમાં અસંતોષ વધતો ગયો. (2) અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા ત્રાસદાયક હતી. અંગ્રેજ સરકારે સામાન્ય અને ગરીબ વર્ગ પર આકરા કરવેરા નાખ્યા હતા. ખેડૂતો પાસેથી મહેસૂલની ઉધરાણી કડકાઈપૂર્વક કરવામાં આવતી હતી. (3) અંગ્રેજોની અત્યંત ખર્ચાળ ન્યાયપદ્ધતિથી અને પોલીસતંત્રની નિષ્ક્રિયતાથી લોકોમાં અંગ્રેજો પ્રત્યે ભારે રોષ જન્મ્યો હતો.

(3) આર્થિક કારણો : (1) અંગ્રેજ સરકારે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે અપનાવેલી આર્થિક નીતિને કારણે ભારતનો વિદેશી વેપાર પડી ભાંગ્યો. અંગ્રેજ સરકારે ભારતને કાચા માલનું સંસ્થાન અને પોતાના દેશમાં બનેલા પાકા માલનું બજાર બનાવ્યું હતું. (2) પોતાના દેશને જરૂરી એવા કપાસ, ગળી, રેશમ વગેરે પાકો ભારતના ખેડૂતો ફરજિયાત ઉત્પન્ન કરે એવી નીતિ અંગ્રેજોએ અપનાવી હતી. પરિણામે ભારતમાં અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટી જાય એવી પરિસ્થિતિ સર્જાઈ. (3) અંગ્રેજ સરકારની અન્યાયી મહેસૂલ નીતિને કારણે ખેડૂતો પાયમાલ થયા. જમીનદારો જમીનવિહોણા બન્યા. (4) અંગ્રેજોની ભેદભાવભરી જકાતનીતિને કારણે ભારતના ધમધમતા ગૃહઉદ્યોગો, હસ્તઉદ્યોગો અને ગ્રામોદ્યોગો પડી ભાંગતાં લાખો કારીગરો બેકાર બન્યા. (5) અંગ્રેજોએ વેપાર-ધંધાથી ધમધમતાં ભારતનાં અનેક મોટાં શહેરોની જાહોજલાલી ઓછી કરી દીધી. (6) ઈ. સ. 1801થી ઈ. સ. 1857 સુધીમાં ભારતમાં નાના-મોટા અનેક દુકાળો પડ્યા. અંગ્રેજોએ લોકોને એમાંથી બચાવવા રાહતનાં પગલાં ન ભર્યા. અનાજની અછતને કારણે અસંખ્ય લોકો દુકાળમાં મૃત્યુ પામ્યા.

(4) સામાજિક અને ધાર્મિક કારણો : (1) ખ્રિસ્તી પાદરીઓએ ભારતમાં હિંદુ અને મુસલમાનોને ઇરાદાપૂર્વક ખ્રિસ્તી બનાવવા પ્રયત્નો કર્યા. ઈ. સ. 1850માં અંગ્રેજ સરકારે કાયદો બનાવ્યો કે જો કોઈ હિંદુ અને મુસ્લિમ ખ્રિસ્તી ધર્મી બને તો તેને પૈતૃક સંપત્તિમાં હિસ્સો મળી શકે. તેણે મંદિરો અને મસ્જિદોની મિલકતો પર કર નાખ્યો હતો. આથી, અંગ્રેજ સરકાર હિંદુ ધર્મનો નાશ કરવા માગે છે, એવી શંકા લોકોમાં વધારે દઢ બની. (2) અંગ્રેજો ભારતીયો સાથે તિરસ્કારભર્યો વ્યવહાર કરતા. તેઓ માનતા હતા કે ભારતીયો ગંદા, રોગિષ્ઠ અને નિમ્ન કોટિના છે; ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ ભારત આવ્યા છે. તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહિ. અંગ્રેજોનાં રહેઠાણો પણ હિંદુઓના રહેઠાણોથી દૂર હતાં. આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવને કારણે ભારતના લોકોમાં અંગ્રેજો પ્રત્યે ભારે અસંતોષ, રોષ અને ધિક્કાર જાગ્યાં હતાં.

(5) લશ્કરી કારણો : (1) અંગ્રેજ સરકાર ભારતીય સૈનિકોનું ભારે શોષણ કરતી હતી. કઠોર લશ્કરી સેવાઓ બજાવવા છતાં, અંગ્રેજ સૈનિકોની સરખામણીમાં હિંદી સૈનિકોને પગાર, ભથ્થાં, સગવડો ઘણાં ઓછાં મળતાં હતાં. (2) લશ્કરમાં કોઈ પણ ભારતીય સૈનિક સૂબેદારથી વધારે ઊંચો હોદ્દો મેળવી શકતો નહિ. (3) અંગ્રેજ અફસરો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહિ. તેઓ હિંદી સૈનિકોને હલકા અને તુચ્છ સમજતા. (4 ) ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. (5) ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયાપારના દેશોમાં યુદ્ધ લડવા માટે જવાની બાંહેધરી આપવી પડતી હતી. ઉપર્યુક્ત કારણોને લીધે અંગ્રેજ સૈન્યના ભારતીય સૈનિકોમાં અંગ્રેજો પ્રત્યે ખૂબ રોષ ફેલાયો હતો.

(6) તાત્કાલિક કારણો : અંગ્રેજ સરકારે ભારતીય લશ્કરને નવી એન્ફિલ્ડ રાઇફલ આપવાનું નક્કી કર્યું. આ રાઇફલમાં વપરાતી કારતૂસનો ઉપયોગ કરતી વખતે તેના ઉપરના ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી. જાન્યુઆરી, 1857માં બંગાળના સૈનિકોમાં એવી અફવા ફેલાઈ કે કૅપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હિંદુઓ માટે ગાયનું અને મુસલમાનો માટે ડુક્કરનું માંસ વર્જ્ય છે. આથી, ભારતીય સૈનિકોને લાગ્યું કે અંગ્રેજો તેમને ધર્મભ્રષ્ટ કરવા માગે છે. તેથી તેમણે એ કારતુસો વાપરવાનો ઇન્કાર કરી સંગ્રામની શરૂઆત કરી. આમ, ઍન્ફિલ્ડ નામની રાઇફલ ઈ. સ. 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ હતું. કેટલાક ઇતિહાસકારો કારતૂસોની હકીકતને અફવા માનતા નથી.

(2) “કેન્દ્રીય નેતાગીરીનો અભાવ એ ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ ગણાય છે.” વિધાન સમજાવો.

ઉત્તર : ઈ. સ. 1857ના સ્વાતંત્ર્ય-સંગ્રામના અનેક નેતાઓ હતા. પરંતુ તેમાં સમગ્ર સંગ્રામને દોરવણી આપી શકે એવો કોઈ સમર્થ, સર્વોચ્ચ અને સર્વમાન્ય નેતા ન હતો. રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા. સંગ્રામના મુખ્ય નેતા બહાદુરશાહ અત્યંત વૃદ્ધ હતા. સંગ્રામ જુદાં જુદાં સ્થળોએ જુદા જુદા નેતૃત્વ નીચે થયો. સંગ્રામમાં કેન્દ્રીય સંગઠન અને નેતૃત્વનો અભાવ હતો, જે સ્વાતંત્ર્ય-સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું.

(3) ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના સ્વરૂપ વિશે સવિસ્તર નોંધ લખો.

ઉત્તર : ઈ. સ. 1857ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામને અંગ્રેજો માત્ર સૈનિક વિદ્રોહ-બળવો માને છે. કેટલાક ભારતીયો પણ તેને જનવિદ્રોહ માને છે. પરંતુ કેટલાક ઇતિહાસકારો અને વિદ્વાનો ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામને જુદું જુદું સ્વરૂપ દર્શાવે છે. ઇતિહાસકાર ડૉ. સેન સંગ્રામને ‘સ્વતંત્રતા સંગ્રામ’ની ઉપમા આપે છે. ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલી સંગ્રામને ‘રાજકીય અને ધાર્મિક બળવો’ કહે છે. વિનાયક દામોદર સાવરકર અને પટ્ટાભી સીતા રામૈયા સંગ્રામને ‘ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ’ ગણાવે છે. સિપાઈઓના બળવા કરતાં સંગ્રામનું સ્વરૂપ ખૂબ વ્યાપક અને અસરકારક હતું, કારણ કે સંગ્રામમાં રાજાઓ, જાગીરદારો, જમીનદારો, ખેડૂતો, કારીગરો, આદિવાસીઓ વગેરેએ સક્રિય ભાગ લીધો હતો.

પ્રશ્ન 3. નીચેના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો :

(1) ઈ. સ. 1857ના સંગ્રામનાં મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી?

(A) દિલ્લી

(B) ઝાંસી

(C) ચંદીગઢ

(D) સતારા

જવાબ : (C) ચંદીગઢ

(2) ખાલસાનીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર…….

(A) વેલેસ્લી

(B) ડેલહાઉસી

(C) હ્યુરોઝ

(D) મેજર હ્યુસન

જવાબ : (B) ડેલહાઉસી

(3) ઍન્ફિલ્ડ રાઇફલના કારતૂસ પર કયાં બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી?

(A) ગાય-ડુક્કર

(B) ગાય-કૂતરાં

(C) ઘેટાં-બકરાં

(D) ઊંટ-ભેંસ

જવાબ : (A) ગાય-ડુક્કર

Also Read :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 10 સ્વાધ્યાય

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 16 સ્વાધ્યાય


Spread the love
error: Content is protected !!
Scroll to Top