Three Mahabharat Ni Varta Gujarati । 3. વ્યાઘની વાર્તા

Three Mahabharat Ni Varta Gujarati
Three Mahabharat Ni Varta Gujarati

Three Mahabharat Ni Varta Gujarati । 3. વ્યાઘની વાર્તા

એક સન્યાસી એક જંગલમાં ગયા. તેઓ એક વૃક્ષ નીચે ધ્યાન ધરવા બેઠા. વૃક્ષ ઉપર એક કાગડો અને બગલો ઝઘડતા હતા એટલે સન્યાસીને ધ્યાન ધરવામાં વિક્ષેપ પડતો હતો. સન્યાસી ગુસ્સે થઇ ગયા અને એમણે માત્ર એક વિચાર જ કર્યો કે આ કાગડો અને બગલો બળીને ભસ્મ થઇ જવા જોઈએ.

સંન્યાસીનું ત્યાગમય જીવન અને ધ્યાનની એકાગ્રતા હોવાથી એમની પાસે અપાર શક્તિ આવી ગઈ હતી. એમના આ વિચાર માત્રથી જ કાગડો અને બગલો બળીને ભસ્મ થઇ ગયા! આ જોઇને સન્યાસીને પોતાની શક્તિ માટે અભિમાન થઇ ગયું.

એક દિવસ તેઓ ગામમાં ભિક્ષા લેવા ગયા. તેમણે એક ઘરે જઈને ભિક્ષા માંગી. ઘરમાં એક સ્ત્રી કામમાં વ્યસ્ત હતી. એણે સન્યાસીને થોડી રાહ જોવા કહ્યું. થોડો વધારે સમય રાહ જોવી પડી એટલે સન્યાસીને ગુસ્સો આવી ગયો. પેલી સ્ત્રી ઘરમાંથી ભિક્ષા લઈને બહાર આવી.

એણે સન્યાસીને કહ્યું કે એમના માટે આવો ગુસ્સો કરવો યોગ્ય નથી અને દરેક વખતે પેલાં પક્ષીઓ બળી ગયાં એવું ન બને. સન્યાસીને ખુબ જ નવાઈ લાગી કે આ સ્ત્રીને જંગલમાં બનેલી ઘટનાની કેવી રીતે ખબર પડી?

સન્યાસીએ સ્ત્રીને એની આવી શક્તિ વિષે પૂછ્યું. એ સ્ત્રીએ કહ્યું કે તે ખુબ જ સમર્પિત થઈને એના કુટુંબની સેવા કરે છે. તે નિષ્ઠાપૂર્વક એના કામ કરે છે અને ભગવાનની સેવા કરતી હોય એવી રીતે ઘરડા સાસુ સસરાની સેવા કરે છે. આથી એને આવી શક્તિ મળી છે. એ સ્ત્રીએ સન્યાસીને એક વ્યાઘ – કસાઈ પાસે જઈને થોડું જ્ઞાન મેળવવા કહ્યું.

સન્યાસીને એક કસાઈ પાસે જ્ઞાન લેવા માટે સંકોચ તો થયો પરંતુ આ સ્ત્રીની શક્તિ જોઇને એમને થયું કે એણે જેની પાસે જ્ઞાન લેવાનું સુચન કર્યું છે એ વ્યાઘને મળવું તો જોઈએ. સન્યાસી વ્યાઘને ઘરે ગયા ત્યારે એ માંસ કાપતો હતો! આખા ઘરમાં વાસ આવતી હતી.

સન્યાસીએ વિચાર્યું કે આવો ઘાતકી માણસ કેવી રીતે જ્ઞાન આપી શકે? વ્યાઘે સન્યાસીને કહ્યું કે તેને ખબર છે કે પેલી સ્ત્રીએ એમને અહીં મોકલ્યા છે. એણે સન્યાસીને થોડી રાહ જોવા કહ્યું. સન્યાસીને ખુબ જ નવાઈ લાગી કે આ વ્યાઘને આ વાતની કેવી રીતે ખબર છે?

વ્યાઘ સન્યાસીને એના ઘરમાં લઇ ગયો અને થોડી રાહ જોવા કહ્યું. એણે એના ઘરડા મા બાપને સ્નાન કરાવ્યું, ખાવા આપ્યું, દવા આપી અને એમને સુવા માટે પથારી કરી આપી. પછી એ સન્યાસી પાસે આવ્યો.

સન્યાસીએ વ્યાઘને આત્મા બાબતે અને અન્ય ઉચ્ચ કક્ષાના જ્ઞાન બાબતે પૂછ્યું. વ્યાઘે સન્યાસીને ઘણો જ સુંદર ઉપદેશ આપ્યો જે “વ્યાઘ ગીતા” તરીકે જાણીતો છે.

વ્યાઘે સન્યાસીને કહ્યું કે કોઈ પણ કામ ખરાબ નથી. તે પોતે પોતાના આગલા જન્મના કર્મોને લીધે આ જન્મમાં વ્યાઘ-કસાઈ થયો હતો. પરંતુ એ એની ફરજો પ્રત્યે સમર્પિત હતો અને ભગવાનની જેમ એના મા બાપની સેવા કરતો હતો. પેલી સ્ત્રી પણ એની ફરજો પ્રત્યે સમર્પિત હતી.

દરેક વ્યક્તિએ નિષ્ઠાપૂર્વક સમર્પિત થઈને પોતાના કાર્યો કરવા જોઈએ. આ રીતે કોઈ ગૃહસ્થ અને સન્યાસી વચ્ચે કોઈ જ તફાવત નથી. એણે સન્યાસીને સલાહ આપી કે એમણે એમના સન્યાસ અને શક્તિઓ માટે ક્યારેય અભિમાન ન કરવું જોઈએ.

Also Read :

2. સોનેરી નોળિયાની વાર્તા

Leave a Reply