Class 8 Social Science Chapter 14 Swadhyay (ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 14 સ્વાધ્યાય)

Class 8 Social Science Chapter 14 Swadhyay
Class 8 Social Science Chapter 14 Swadhyay

Class 8 Social Science Chapter 14 Swadhyay

Class 8 Social Science Chapter 14 Swadhyay, Std 8 Social Science Chapter 14 Swadhyay, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયના એકમ 14 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 14 સ્વાધ્યાય.

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
એકમ : 14આપત્તિ-વ્યવસ્થાપન
સત્ર :દ્વિતીય
Class 8 Social Science Chapter 14 Swadhyay

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો :

(1) કુદરતી આપત્તિ કોને કહેવાય?

ઉત્તર : જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તે આપત્તિ ‘કુદરતી આપત્તિ’ કહેવાય.

(2) આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ-કઈ છે?

ઉત્તર : આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ આ પ્રમાણે છે : (1) પૂર (2) વાવાઝોડું (3) સુનામી (4) તીડ પ્રકોપ અને (5) મહામારી.

(3) આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે?

ઉત્તર : આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓ આ પ્રમાણે છે : (1) ભૂકંપ (2) જ્વાળામુખી (3) દાવાનળ અને (4) ભૂસ્ખલન.

(4) માનવસર્જિત આપત્તિ કઈ-કઈ છે?

ઉત્તર : માનવસર્જિત આપત્તિઓ આ પ્રમાણે છે : (1) આગ (2) હુલ્લડ (3) બૉમ્બ વિસ્ફોટ અને (4) ઔદ્યોગિક અકસ્માત.

(5) દાવાનળ કોને કહેવાય?

ઉત્તર : જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી ભયાનક અને વિનાશકારી આગને ‘દાવાનળ’ કહેવાય.

(6) ભૂસ્ખલનની ઘટનાઓ કયાં ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે?

ઉત્તર : ભૂખ્ખલનની ઘટનાઓ પર્વતીય ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે.

(7) મહામારીની પરિસ્થિતિ એટલે શું?

ઉત્તર : ખૂબ વ્યાપક વિસ્તારમાં હજારો લોકો વિષાણુજન્ય રોગનો ભોગ બને ત્યારે તે પરિસ્થિતિને ‘મહામારી’ ની પરિસ્થિતિ કહે છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

(1) દાવાનળ કયા-કયા સંજોગોમાં ફાટી નીકળે છે?

ઉત્તર : દાવાનળ નીચેના સંજોગોમાં ફાટી નીકળે છે :

(1) બીડી કે સિગારેટ પીતી વ્યક્તિઓએ બૂઝાવ્યા વિના ફેકેલાં ઠુંઠાંથી કે માલધારીઓએ કામચલાઉ બનાવેલ ચૂલા બેદરકારીથી ઓલવ્યા વિના છોડી દેવાથી તેમજ જંગલમાં આવેલા પર્યટકો કે યાત્રિકોએ છોડી દીધેલી સળગતી ચીજવસ્તુઓથી જંગલમાં આગ લાગે છે.

(2) જંગલમાંથી પસાર થતી વીજળી કે ગૅસની પાઇપ લાઇનમાં અકસ્માત થવાથી જંગલમાં આગ લાગે છે.

(3) જંગલમાં વીજળી પડવાથી દાવાનળ ફાટી નીકળે છે.

(4) પાનખર ઋતુમાં જંગલમાં એકઠાં થયેલાં સૂકાં પાંદડાં અને સૂકું ઘાસ આગમાં ઈંધણનું કામ કરે છે.

(5) સૂકી હવા અને સળગી જાય એવું ઈંધણ દાવાનળ માટે પાયાનું કારણ છે.

(6) જંગલનાં કેટલાંક વૃક્ષોમાંથી કુદરતી રીતે ઝરતા ગુંદર જેવા જ્વલનશીલ પદાર્થથી આગ વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે.

(2) તીડ-પ્રકોપ વિશે ટૂંક નોંધ લખો.

ઉત્તર : તીડ-પ્રકોપ એક જૈવિક આપત્તિ છે. તીડ એ એક પ્રકારનું કીટક છે. એક અંદાજ મુજબ વિશ્વમાં તેની અંદાજિત 11,000 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. તે ઝુંડમાં રહે છે. એક ઝુંડમાં તે લાખોની સંખ્યામાં હોય છે. સામાન્ય રીતે તીડ રણવિસ્તારમાં જોવા મળે છે. તીડના શરીરની લંબાઈ દોઢથી બે ઇંચ જેટલી હોય છે. ઊડવા માટે તેની પીઠ ઉપર મજબૂત પાંખો હોય છે.

તેના પાછળના બે પગ આગળના પગની સરખામણીએ લાંબા હોય છે. તેના માથા ઉપર ઍન્ટેના જેવા બે વાળ હોય છે. તે બેથી અઢી ફૂટ લાંબો કૂદકો મારી શકે છે. તે પવનની દિશામાં આગળ વધતાં જતાં હોય છે. ગુજરાતમાં આક્રમણ કરતાં તીડ

‘રણતીડ’ (ડેઝર્ટ લોકસ્ટ્સ) ના નામે ઓળખાય છે. તીડની આ પ્રજાતિ ભારત, પાકિસ્તાન અને આફ્રિકા ખંડના કેટલાક દેશોમાં જોવા મળે છે. તેને પોતાના વજનની બરાબર ખાવાની ટેવ છે, તેથી તે ‘ખાઉધરા તીડ’ ના નામે ઓળખાય છે. પુખ્ત થતાં તે રેતીમાં ઈંડાં મૂકે છે. તે દિવસ દરમિયાન ઊડે છે અને રાત્રી દરમિયાન તે કોઈ જગ્યાએ રાતવાસો કરે છે. તે લીમડા સિવાય બધા પ્રકારની વનસ્પતિ ખાય છે. જે વિસ્તારમાં તીડ રાતવાસો કરે છે ત્યાં ખેતીના પાકોને અને લીલી વનસ્પતિનાં પાંદડાંને સફાચટ કરી મૂકે છે. બાગાયતી ખેતીના બગીચાઓ પર તીડ ત્રાટકે તો લીંબુ, ખારેક, દાડમ, જામફળ, આંબળાં વગેરેના પાકોને ભારે નુકસાન પહોંચાડે છે. પરિણામે ખેડૂતોને ભારે આર્થિક નુકસાની વેઠવી પડે છે. જે ક્ષેત્રોમાં તીડનો ઉપદ્રવ થાય ત્યાં ખેતીપાકોના અભાવે દુકાળની પરિસ્થિતિ સર્જાય છે. જોકે, આજના સમયમાં વાહનવ્યવહારની સુવિધાને લીધે બીજા પ્રદેશોમાંથી અનાજ અને ઘાસચારો લાવીને દુકાળની સ્થિતિ નિવારી શકાય છે. તીડના ઉપદ્રવની વકી હોય તેવા વિસ્તારોમાં ખેતીવાડી વિભાગની સૂચના મુજબ તીડ નિયંત્રક દવાનો છંટકાવ કરવાથી થનારા નુકસાનને ઘટાડી શકાય છે.

(૩) મહામારીથી ઊભી થતી પરિસ્થિતિ વર્ણવો.

ઉત્તર : મહામારીમાં વ્યાપેલા રોગની રોગપ્રતિકારક રસીઓ ન શોધાઈ હોય ત્યાં સુધી તેને ફેલાતો અટકાવવા લૉકડાઉન અને ચેપગ્રસ્ત વ્યક્તિઓને તથા બહારથી આવેલા નાગરિકોને ક્વૉરન્ટીન (quarantine) તેમજ પ્રવાસ પર પ્રતિબંધ જેવાં સખ્ત પગલાં ભરવાં પડે છે. મહામારીની આ પરિસ્થિતિથી લોકોની રોજબરોજની જિંદગી ખોરવાઈ જાય છે. શિક્ષણની કામગીરી અટકી પડે છે. વેપાર-ધંધા ઠપ થઈ જાય છે તેમજ ચીજવસ્તુઓનું ઉત્પાદન બંધ થઈ જાય છે. પરિણામે સમાજના તમામ મોરચે વિકાસની પ્રક્રિયા બંધ થઈ જાય છે. રોજે-રોજનું કમાઈને ગુજરાન ચલાવતા લાખો લોકોની કમાણી બંધ થઈ જતાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમની હાડમારીઓનો પાર રહેતો નથી. સરકારોએ અને સ્થાનિક તંત્રોએ રોગને ફેલાતો અટકાવવા માટે પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા હોવા છતાં લોકો જાગૃતિના અભાવે રોગનો ભોગ બને છે. પરિણામે હૉસ્પિટલો અને દવાખાનાં દર્દીઓથી ઊભરાઈ જાય છે. દુનિયાના સાધનસંપન્ન દેશો પણ રોગનો ફેલાવો અટકાવી શકતા નથી. ખૂબ ટૂંકા સમયમાં લાખો લોકો સંક્રમિત થાય છે અને હજારો લોકો મોતને ભેટે છે.

સદીઓ પૂર્વે કૉલેરા, પ્લેગ અને મલેરિયાની રોગપ્રતિકારક રસીઓ અને દવાઓ શોધાઈ નહોતી ત્યારે આ રોગોથી દુનિયાભરમાં લાખો માણસો મૃત્યુ પામ્યા હતા. એક તબક્કે, એ મહામારીથી દુનિયાની વસ્તીમાં ઘટાડો થયેલો જોવા મળ્યો હતો.

(4) ઔદ્યોગિક અકસ્માતમાં થનાર અકસ્માતોની વિગતો આપો.

ઉત્તર : ઔદ્યોગિક પ્રક્રિયામાં વપરાતાં નાનાં-મોટાં યંત્રોના સંચાલન સમયે અને ઉત્પાદનમાં વપરાતી સામગ્રીની હેરફેર તેમજ તૈયાર થયેલા માલના સંગ્રહ કે હેરફેર સમયે અકસ્માતની સંભાવના રહેલી છે. ક્યારેક માનવીય ભૂલ કે યંત્રોની સારસંભાળના અભાવે યાંત્રિક ખરાબીથી અકસ્માતો થાય છે.

(1) જંતુનાશકો બનાવતાં કારખાનામાંથી ઝેરી વાયુનું ગળતર (2) ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ (3) પ્લાસ્ટિક જેવી સળગી ઊઠે એવી સામગ્રી બનાવતાં કારખાનાંમાં ફાટી નીકળતી આગ (4) રિફાઇનરીઓમાં વિસ્ફોટ કે આગ (5) રસાયણો બનાવતાં કારખાનાંમાં પ્રક્રિયા દરમિયાન ફાટી નીકળતી આગ કે વિસ્ફોટ (6) પરમાણુ ઊર્જા ઉત્પન્ન કરતા એકમોમાં ફાટી નીકળતી આગ વગેરે ઔદ્યોગિક અકસ્માતો ગણાય છે.

(5) આપત્તિની અસરો ટૂંકમાં વર્ણવો.

ઉત્તર : આપત્તિની મુખ્ય અસરો નીચે પ્રમાણે છે :

(1) આપત્તિને લીધે સ્થાવર કે જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે કે નાશ પામે છે. એ મિલકતોનું નવેસરથી બાંધકામ કરવા માટે સરકારને કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે, તેથી વિકાસનાં ચાલુ કામો બંધ કરવાં પડે છે. (2) જે પરિવારોએ કમાનાર વ્યક્તિ ગુમાવ્યા હોય તેમની આર્થિક સ્થિતિ ભારે કફોડી બને છે. (3) આપત્તિમાં કાયમી વિકલાંગ બનનાર વ્યક્તિઓ માનસિક સ્વસ્થતા ગુમાવે છે. તેઓને માનસિક યાતનામાંથી બહાર લાવી, તેમનું પુનર્વસન કરવાનું કામ ભારે પડકારજનક બને છે. (4) નિર્દોષ બાળકો અને સ્ત્રી-પુરુષોનું અકાળે અવસાન થાય છે. અનાથ બનેલાં બાળકોની અને નિરાધાર બનેલા વૃદ્ધોની હાલત કફોડી બને છે. તેઓની સારસંભાળનો બંદોબસ્ત કરવો ઘણો કઠિન છે.

પ્રશ્ન 3. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો :

(1) નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવસર્જિત આપત્તિમાં થતો નથી?

(A) આગ

(B) ઔદ્યોગિક અકસ્માત

(C) હુલ્લડ

(D) મહામારી

જવાબ : (D) મહામારી

(2) નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવસર્જિત આપત્તિમાં થાય છે?

(A) ભૂકંપ

(B) દાવાનળ

(C) ઔદ્યોગિક અકસ્માત

(D) ત્સુનામી

જવાબ : (C) ઔદ્યોગિક અકસ્માત

(3) ગુજરાતમાં સાપુતારા (ડાંગ) માં આવી જવલ્લે જ ઘટનાઓ બને છે?

(A) ઔદ્યોગિક અકસ્માત

(B) ભૂસ્ખલન

(C) તીડ-પ્રકોપ

(D) ત્સુનામી

જવાબ : (B) ભૂસ્ખલન

Also Read :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 19 સ્વાધ્યાય