Class 7 Social Science Chapter 11 Swadhyay (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 11 સ્વાધ્યાય)

Class 7 Social Science Chapter 11 Swadhyay
Class 7 Social Science Chapter 11 Swadhyay

Class 7 Social Science Chapter 11 Swadhyay

Class 7 Social Science Chapter 11 Swadhyay. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ 11 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 11 સ્વાધ્યાય.

ધોરણ : 7

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 11. પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો

સત્ર : પ્રથમ

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો :

(1) પર્યાવરણના ઘટકો લખો.

ઉત્તર : પર્યાવરણના મુખ્ય ચાર ઘટકો આ પ્રમાણે છે :

(1) મૃદાવરણ (2) જલાવરણ (3) વાતાવરણ અને (4) જીવાવરણ

(2) મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત ક્યા કયા છે?

ઉત્તર : હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીનાં સરોવરો, નદીઓ, ઝરણાં વગેરે મીઠા પાણીના મુખ્ય સ્રોતો છે.

(3) બે ભરતી વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે?

ઉત્તર : બે ભરતી વચ્ચેનો સમયગાળો આશરે 12 કલાક અને 25 મિનિટ જેટલો હોય છે.

(4) ચીડિયાપણું કયા પ્રદૂષણની માનવજીવન પરની અસર છે?

ઉત્તર : ચીડિયાપણું એ ધ્વનિ-પ્રદૂષણ (અવાજ પ્રદૂષણ) ની માનવજીવન પરની અસર છે.

(5) ભૂમિ-પ્રદૂષણ એટલે શું?

ઉત્તર : વિવિધ કારણોસર ભૂમિ-જમીનની ગુણવત્તામાં કે તેના પોષક ઘટકોમાં થતાં ઘટાડાને ‘ભૂમિ-પ્રદૂષણ’ કહે છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

(1) માનવનિર્મિત પર્યાવરણ એટલે શું?

ઉત્તર : માનવીએ પોતાના બુદ્ધિકૌશલ અને વિજ્ઞાનની મદદથી પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોમાં કરેલાં પરિવર્તનો અને તેના પરિણામસ્વરૂપે બનેલી તમામ બાબતોનો સમાવેશ માનવનિર્મિત પર્યાવરણમાં થાય છે.

પાષાણયુગનો આદિમાનવ ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો. તે પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુરૂપ જીવન જીવતો હતો. તેની જરૂરિયાતો તેની આસપાસના પર્યાવરણમાંથી પૂરી થઈ શકે એટલી મર્યાદિત હતી, સમયાંતરે માનવીના જીવનમાં પરિવર્તન આવતાં તેની જરૂરિયાતોમાં વધારો થયો. માનવીએ પર્યાવરણનો ઉપયોગ કરવાની અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી. તેણે અગ્નિની, ખેતીની અને ચક્રની ક્રાંતિકારી શોધો કરી હતી. તેના આધારે અર્વાચીન માનવીએ ખેતી, પશુપાલન, ગૃહઉદ્યોગો, મોટા યાંત્રિક ઉદ્યોગો, વાહનવ્યવહારનાં સાધનો તેમજ માર્ગો અને વસાહતોનો વિકાસ કર્યો છે. આ પ્રક્રિયા હાલમાં ખૂબ ઝડપથી ચાલી રહી છે.

માનવનિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે.

(2) જમીન-પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખો.

ઉત્તર : જમીન-પ્રદૂષણ અટકાવવાના ઉપાયો નીચે પ્રમાણે છે :

(1) પ્લાસ્ટિક અને રસાયણોનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. (2) કારખાનાં, ઉદ્યોગો તેમજ વસાહતો સ્થાપવા માટે બને ત્યાં સુધી બિનઉપજાઉ પડતર જમીનનો ઉપયોગ કરવો જોઈએ. (3) ખેતીમાં રાસાયણિક ખાતરોને બદલે જૈવિક અને દેશી ખાતર તેમજ લીલા પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. (4) પાકને કીટકો અને જંતુઓથી બચાવવા માટે વપરાતી જંતુનાશક દવાઓ જરૂર પૂરતી જ વાપરવી જોઈએ. (5) ઘન કચરાનું વર્ગીકરણ કરી તેનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ. (6) નકામા પ્લાસ્ટિક અને ઘન કચરાને જમીન પર ફેંકવાને બદલે તેનો બાળીને નાશ કરવો જોઈએ અથવા શક્ય હોય ત્યાં રિસાઇકલ કરીને તેનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ. (7) ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ.

(3) હવા-પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્નો લખો.

ઉત્તર : હવા-પ્રદૂષણ અટકાવવા નીચે મુજબ પગલાં લેવા જોઈએ.

(1) હવાનું પ્રદૂષણ અટકાવવા માટે સરકારે કાયદા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ. (2) ધુમાડો અને ઝેરી વાયુઓને ફિલ્ટર કરતાં સાધનો વિકસાવવાં જોઈએ. (3) કોલસા અને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ખૂબ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ. (4) વાહનોમાં CNG અને PNG તેમજ સૌરઊર્જા અને વિધુત જેવાં પ્રદૂષણમુક્ત બળતણોના ઉપયોગને પ્રોત્સાહિત કરવી જોઈએ. (5) વાહનો માટે PUCનો કડક અમલ કરવો જોઈએ. (6) લોકો મુસાફરી માટે જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરે એવી જાગૃતિ ફેલાવવી જોઈએ. (7) હવામાં CO2 નું પ્રમાણ નિયંત્રણમાં રાખવા માટે જંગલો અને વનસ્પતિનું પ્રમાણ વધારવું જોઈએ.

(4) ધ્વનિ-પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્નો લખો.

ઉત્તર : ધ્વનિ-પ્રદૂષણ અટકાવવા માટે હું નીચે પ્રમાણે પ્રયત્નો કરીશ :

(1) મારા ઘરનાં બધાં વાહનોને યોગ્ય સમયે સર્વિસ (રિપૅરિંગ) કરાવવા કહીશ. (2) રેડિયો, ટેલિવિઝન, મોબાઇલ, વાજિંત્રો વગેરે ધીમા અવાજે વગાડીશ. (3) સિનેમાઘરો અને જાહેર સભાગૃહોમાં ધ્વનિશોષક યંત્રો અને પડદા લગાડવા કહીશ. (4) સામાજિક પ્રસંગો, ઉત્સવો, ઉદ્ઘાટન પ્રસંગો કે લગ્નપ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ કરીશ નહિ. (5) ઉજવણીના કાર્યક્રમો અને સરઘસોમાં ફટાકડા ફોડીશ નહિ. (6) શાળા અને હૉસ્પિટલ જેવા સ્થળો પાસે ‘નો હૉર્ન અને ‘સાયલન્સ ઝોન’નો કડક અમલ કરીશ. (7) વિમાનમથકોની આસપાસ, ઉદ્યોગોના તથા શહેરના મુખ્ય રસ્તાઓની બંને બાજુ વૃક્ષો ઉગાડીને વાહનોના અવાજનું નિયંત્રણ કરવા પ્રયત્ન કરીશ.

પ્રશ્ન 3. કારણો આપો :

(1) દરિયામાં ભરતી-ઓટ થાય છે.

ઉત્તર : દરિયાનાં પાણી દિવસમાં બે વખત ઊંચે ચડે છે અને નીચે ઊતરે છે. દરિયાનાં પાણી ઊંચે ચડે તેને ‘ભરતી અને નીચે ઊતરે તેને ‘ઓટ’ કહે છે. ભરતી વખતે દરિયાના પાણીની સપાટી ઊંચી આવીને કિનારા તરફ ધસી આવે છે. ઓટ વખતે દરિયાના પાણીની સપાટી નીચી ઊતરીને કિનારીથી દૂર જાય છે.

ભરતી-ઓટ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસરથી થાય છે. બધાં સ્થળોએ અને બધા દિવસોએ એકસરખી ભરતી-ઓટ આવતી નથી. પૂનમ અને અમાસના દિવસોએ સૌથી મોટી ભરતી-ઓટ આવે છે. સાતમ-આઠમના દિવસોએ સૌથી નાની ભરતી-ઓટ આવે છે.

(2) અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે.

ઉત્તર : દર અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર સીધી રેખામાં આવે છે. તેથી સૂર્ય અને ચંદ્રના ગુરુત્વબળના આકર્ષણથી ખેંચાઈને સમુદ્રજળનાં વધુ મોટાં મોજાં ઉત્પન્ન થાય છે. દર અમાસે અને પૂનમે પૃથ્વી પર ચંદ્ર અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એક જ દિશામાં લાગતાં હોવાથી એ દિવસે મોટી એટલે કે ગુરુતમ ભરતી આવે છે.

પ્રશ્ન 4. યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો :

(1) વાતાવરણ સૂર્યનાં………….કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે.

ઉત્તર : પારજાંબલી

(2) ધ્વનિ-પ્રદૂષણને…………પણ કહે છે.

ઉત્તર : ઘોઘાટ

(3) સમુદ્રનું પાણી કિનારા તરફ ધસી આવે છે તેને…………..કહે છે.

ઉત્તર : ભરતી

Also Read :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 3 સ્વાધ્યાય

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 16 સ્વાધ્યાય